મિત્રો, બીરબલની એક વાર્તા બહુ વખત પહેલાં વાંચી હતી તે યાદ આવે છે. જે કાંઈક આવી હતી.
એક મહાશયને પંડિત થવું હતુ. પણ ગ્રંથો વાંચવાની તસ્દી લેવી નહોતી. એમનું માનવું એવું હતું કે -ચાર દિનકી ચાંદની… ફિર અંધેરી રાત! તો આ ચાર દિવસની ચાંદની શામાટે થોથાં વાંચવામાં વેડફી નાખવી? એવો કોઈ રસ્તો ન હોય કે- ગ્રંથોને ખોલવાં પણ ન પડે ને તોય પડિત બની જવાય!
આવાં અનોખાં કામો તો બીરબલ સિવાય કોણ કરાવી આપે? મહાશયે બીરબલની પાસે જઈને પોતાની તકલીફ જણાવી.
બીરબલે જવાબમાં કહ્યું કે – કાલથી જ્યારે તમે ગામમાં નીકળશો ત્યારે કેટલાક છોકરાઓ તમને ઓ પંડિત .. ઓ પંડિત કહીને બૂમો પાડશે. ત્યારે તમારે ચિડાવાનું ને છોકરાઓની પાછળ દોડવાનું.
પેલા મહાશયને વિદાય કરીને બીરબલે શેરીનાં છોકરાઓને ભેગાં કરીને એક કામ સોંપ્યું. પેલા મહાશ ગામમાં નીકળે ત્યારે ઓ.. પંડિત .. ઓ પંડિત કેમ છો ? એમ કહીને ચિડવવાનું.
બીરબલનો એ પ્રોજેક્ટ એવો સફળ થયો કે – માત્ર એક અઠવાડિયામાં તો ગામના નાનાં છોકરાઓ જ નહીં પણ મોટા લોકો પણ પેલા મહાશયને પંડિત કહીને બોલાવવા લાગ્યાં.
પેલા મહાશય ફરીથી પહોંચ્યા બીરબલ પાસે. ફરિયાદ કરી કે – મને આખું ગામ પંડિત પંડિત કરે છે. હું તો ખીજાઈ ખીજાઈને થાક્યો.
બીરબલે કહ્યું કે- બસ. હવે તમે પંડિત બની ગયા હવેથી કોઈ કેમ છો પંડિત? એમ કહે તો ખીજાવાનું નહી. જવાબમાં કહેવાનું કે- મજામાં છીએ.
- યશવંત ઠક્કર
895d7464-8894-4cab-88b0-3f002087d5b6|0|.0